26 May, 2016

જ્હોન મુઇર : ૨૦મી સદીનો ટ્રાવેલ જંકી એક્ટિવિસ્ટ


ઇશ્વરે વૃક્ષોની કાળજી લીધી. તેમણે વૃક્ષોને દુકાળ, રોગચાળો, હિમપ્રપાતો અને હજારો વાવાઝોડા, પૂરોથી પણ બચાવ્યા, પરંતુ ઇશ્વર મૂર્ખ લોકોથી તેમને બચાવી ના શક્યો.

આ ક્લાસિક ક્વૉટ જ્હોન મુઇરનું છે. કોણ હતા જ્હોન મુઇર? જ્હોન મુઇર કોઇ વ્યક્તિ નહીં, પણ એક ઘટના હતી. જ્હોન મુઇર એક એવા પ્રવાસી હતા, જેમને પ્રકૃતિવિદ્, પર્યાવરણવાદી વિચારક, પર્યાવરણવાદી આંદોલનકારી, રાજકીય ચળવળકાર અને આધ્યાત્મિક પ્રવાસી જેવી અનેક ઓળખો મળી છે. માણસને કુદરતની કેટલી જરૂર છે એ વિશે તેમણે લખેલા લેખો, નિબંધો અને પ્રવાસવર્ણનો વીસમી સદીના અમેરિકામાં લાખો લોકોએ વાંચ્યા હતા અને આજેય વંચાઈ રહ્યા છે. .. ૧૮૫૦ના અમેરિકામાં ઔદ્યોગિકીકરણની ગાડી તેજ ગતિએ દોડી રહી હતી. એ વખતે જ્હોન મુઇરના લખાણો વાંચીને અનેક લોકોએ વિકાસની દોડમાં કુદરતને મહત્ત્વ આપવા અમેરિકન સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ લખાણો વાંચીને લાખો અમેરિકનો માનતા થયા હતા કે, વિકાસ કરો પણ કુદરતની જાળવણી થવી જ જોઈએ. જોકે, જ્હોન મુઇરે ક્યારેય એક ઘા અને બે કટકાજેવું ફાલતુ તાળી ઉઘરાઉઅને અલ્પજીવીનહીં પણ કલ્ટ ક્લાસિકલખ્યું હતું અને ખૂબ લખ્યું હતું. આજેય અનેક લેખકો કહે છે કે, મુઇરે બહુ જ બધું લખ્યું એ નહીં, પણ આટલું બધું ગુણવત્તાસભર લખ્યું, એ આશ્ચર્યની વાત છે.

અમેરિકાની ધરતી પર જંગલો, પર્વતો અને વેરાન પ્રદેશોની જાળવણી કરવા જ્હોન મુઇરે બુદ્ધિમાન અધ્યાપક અને ઉચ્ચ કોટિના સંતને છાજે એવી દલીલો સાથે અમેરિકન કોંગ્રેસને અરજી કરી હતી. આ અરજીને પગલે જ અમેરિકન કોંગ્રેસે વર્ષ ૧૮૯૦માં નેશનલ પાર્ક બિલ પાસ કર્યું હતું. આ બિલ પાસ થતા જ અમેરિકાના વિશ્વ વિખ્યાત યોસેમાઈટ નેશનલ પાર્કની શરૂઆત થઈ હતી અને એટલે જ જ્હોન મુઇર ફાધર ઓફ નેશનલ પાર્ક્સતરીકે જાણીતા છે. અમેરિકનોએ તેમને જ્હોન ઓફ ધ માઉન્ટેઇન્સએવું હુલામણું નામ પણ આપ્યું છે કારણ કે, તેમણે પર્વતીય પ્રદેશોમાં રઝળપાટ કરીને સુંદર પ્રવાસવર્ણનો લખ્યા હતા. જોકે, તેઓ સામાન્ય પર્યટક (ટુરિસ્ટ) નહીં, અસામાન્ય પ્રવાસી (ટ્રાવેલર) હતા. જ્હોન મુઇરે કરેલા પ્રવાસ વર્ણનો આજના ટ્રાવેલ જંકી માટે પણ પ્રેરણાદાયી છે. આ લખાણોએ અમેરિકાની એકાદ પેઢી પર નહીં પણ આખા અમેરિકાના રાજકારણ અને સામાજિક જીવન પર ઊંડી છાપ છોડી હતી કારણ કે, જ્હોને કુદરતમાં ઓળઘોળ થઈને પ્રવાસ કર્યો હતો અને એટલે જ તેમના લખાણોમાં ભારોભાર આધ્યાત્મિકતા છલકાતી હતી.

જ્હોન મુઇર

જ્હોનનો જન્મ ૨૧મી એપ્રિલ, ૧૮૩૮ના રોજ સ્કોટલેન્ડના નાનકડા ડુનબાર શહેરમાં થયો હતો. વર્ષ ૧૮૪૯માં મુઇર દંપત્તિ તેમના આઠ બાળકોને લઈને અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની પોર્ટેજ કાઉન્ટીમાં રહેવા આવી ગયા હતા. જ્હોન મુઇર તેમનું ત્રીજું સંતાન હતા. અહીં જ્હોને વિસ્કોન્સિકનની કોલેજમાં બોટની વિષય સાથે પ્રવેશ મેળવ્યો. જોકે, યુવાન જ્હોન કોલેજના વર્ગો ભરવામાં નિયમિત રીતે અનિયમિત હતો પણ બોટની (વનસ્પતિશાસ્ત્ર), જિયોલોજી (ભૂસ્તરશાસ્ત્ર) અને કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) જેવા વિષયોમાં ઊંડો રસ લઈને જાતે જ ઘણું બધું શીખ્યો. આ રીતે અભ્યાસ કરવાના કારણે જ્હોન સ્નાતક ના થઈ શક્યો. યુવાનીના એ દિવસોમાં જ્હોન પૈસા કમાવવા ફેક્ટરીમાં કામ કરતો. અહીં પણ તેણે જાતભાતના ઈન્વેન્શન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન માર્ચ ૧૮૬૭માં મિકેનિકલ કામ કરતી વખતે થયેલા એક અકસ્માતમાં જ્હોને થોડો સમય આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. આ અકસ્માતમાં તેણે છ અઠવાડિયા અંધારિયા ઓરડામાં ચિંતાતુર થઈને વીતાવ્યા હતા કે, મને દૃષ્ટિ પાછી મળશે કે નહીં...

આ ઘટના અંગે જ્હોને નોંધ્યું છે કે, ‘‘... મેં નવું વિશ્વ જોયું. નવા પ્રકાશમાં, નવું લક્ષ્ય જોયું. આ દુઃખ મને મીઠામધુર મેદાનોમાં ખેંચી ગયું. કેટલીકવાર ઈશ્વર આપણને પાઠ ભણાવવા લગભગ મારી નાંખતો હોય છે... પછી મેં મારી જાત સાથે ઈમાનદાર રહેવાનું નક્કી કર્યું અને મારા સપનાં પૂરા કરવા, દુનિયા જોવા અને ફૂલછોડનો અભ્યાસ કરવા નીકળી પડ્યો...’’ જ્હોને સપ્ટેમ્બર ૧૮૬૭માં ૨૯ વર્ષની વયે અમેરિકાના કેન્ટુકીથી ફ્લોરિડા વચ્ચે ૧,૬૦૦ કિલોમીટર લાંબા પગપાળા પ્રવાસની શરૂઆત કરી. જ્હોન મુઇર ટ્રાવેલિંગ કરવા માગતા હતા એટલે ઘરેથી નીકળતી વખતે રૂટ નક્કી નહોતો કર્યો. બસ, તેઓ જંગલો, ઉજ્જડ-વેરાન પ્રદેશો, પર્વતો, નદીઓ અને ઝરણાંની શાંતિને પોતાનામાં ભરીને આગળ વધવા માગતા હતા. આ દરમિયાન જાન્યુઆરી ૧૬૮માં તેઓ ફ્લોરિડાના સિડર કી નામના શહેરમાં પહોંચ્યા. અહીં તેમણે લાકડાની મિલમાં કામ શરૂ કર્યું અને ત્રણેક દિવસમાં જ મેલેરિયામાં પટકાયા. એક દિવસ તેઓ સૂર્યાસ્ત જોવા મિલના ધાબે ગયા અને દરિયામાં ક્યુબા જતું વહાણ જોયું. આ વહાણમાં જ તેઓ ક્યુબાની રાજધાની હવાના પહોંચ્યા અને ત્યાંના બોટનિકલ ગાર્ડનમાં ફૂલછોડનો ઊંડો અભ્યાસ કર્યો. દરિયાકિનારે રખડપટ્ટી કરીને શંખ-છીપલાની વિવિધ નોંધ કરી. અહીંથી તેઓ ન્યૂયોર્ક અને ત્યાર પછી કેલિફોર્નિયા પહોંચ્યા. જ્હોન મુઇરે એ થાઉઝન્ડ માઈલ વૉક ટુ ધ ગલ્ફનામના પુસ્તકમાં આ પ્રવાસવર્ણન કર્યું છે.


મુઇરના પ્રસિદ્ધ પુસ્તકોમાંનું એક 


કેલિફોર્નિયાની ઉત્તરે આવેલી સિયેરા નેવાડા પર્વતમાળાઓમાં યોસેમાઈટ વેલી આવેલી છે. આ વેલીની જીવસૃષ્ટિ વિશે જ્હોને ઘણું વાંચ્યું હતું પણ કેલિફોર્નિયા પહોંચીને તેમણે પહેલીવાર એ બધું નજરોનજર જોયું. જ્હોને યોસેમાઈટ વેલીમાં એક અઠવાડિયું રઝળપાટ કરી. અહીંના પર્વતો, નદીઓ, તળાવો, ઝરણાં, વૃક્ષો અને જંગલ જોઈને જ્હોન મુઇરને ગજબની શાંતિ મળી. સિયેરા નેવાડાના પર્વતીય સૌંદર્યના ઘૂંટડા ભરીને જ્હોન મુઇરે સંખ્યાબંધ લેખો લખ્યા. .. ૧૮૭૪-૭૫માં ઓવરલેન્ડ મન્થલીનામના સામાયિકમાં આ લેખો છપાયા હતા, જેમાં તેમણે હિમપર્વતો-નદીઓને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે એની થિયરી આપી હતી. રસપ્રદ વાત એ છે કે, આજના વિજ્ઞાનીઓએ આ થિયરી સ્વીકારી લીધી છે. એ દિવસોમાં જ્હોન પૈસા કમાવવા જ્યાં કામ મળે ત્યાં કામ કરી લેતા પણ અનેક દિવસો બેકારીમાં વીતતા. જીવનમાં ચોક્કસ કોઈ લક્ષ્યાંક વિનાની એ સ્થિતિ જ્હોન માટે ખૂબ જ હતાશાભરી હતી. આ નિરાશાભર્યા દિવસોમાં તેઓ શારીરિક વેદના પણ અનુભવતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આવા દિવસોમાં પણ જ્હોન મુઇર પોતાના પ્રવાસોને ક્રાંતિકારી લખાણોમાં પરિવર્તિત કરતા રહ્યા હતા. 

આ સ્થિતિમાંથી બહાર આવવા જ્હોન મુઇર વિખ્યાત લેખક રાલ્ફ વાલ્ડો એમર્સનના પુસ્તકો વાંચતા. ગાંધીજી, માર્ટિન લ્યુથર કિંગ-જુનિયર અને લિયો ટોલ્સટોય જેવી હસ્તીઓને હેનરી ડેવિડ થોરોના પુસ્તકોમાંથી વિચારબીજમળ્યા હતા, જ્યારે થોરોના ગુરુ રાલ્ફ વાલ્ડો એમર્સન હતા. જ્હોન યોસેમાઈટના જંગલોમાં એક કપ, થોડી ચ્હા, બ્રેડ અને એમર્સનનું એકાદું પુસ્તક લઈને સખત રઝળપાટ કરીને અભ્યાસ કર્યા કરતા. આ દરમિયાન જ્હોન મુઇરે સિયેરા ક્લબની સ્થાપના કરી હતી, જેના સભ્યોએ ઔદ્યોગિકીકરણ સામે કુદરતનું સંવર્ધન કરવા અમેરિકન સરકાર સામે ચળવળ ચલાવી હતી. જ્હોન મુઇરે કરેલા પ્રવાસોની યાદમાં અમેરિકાના અનેક સ્થળોને તેમનું નામ અપાયું છે. અમેરિકામાં મુઇર માઉન્ટેઇન, મુઇર પિક, મુઇર બિચ, મુઇર ગ્લેશિયર, મુઇસ વુડ્સ નેશનલ મોન્યુમેન્ટ, જ્હોન મુઇર વાઇલ્ડરનેસ, જ્હોન મુઇર નેશનલ હિસ્ટોરિક સાઇટ, કેમ્પ મુઇર, મુઇર પાસ અને જ્હોન મુઇર હાઇ-વે જેવા અનેક સ્થળ આવેલા છે. જે ક્યારેય સ્નાતક ના થઈ શક્યા એના નામ પરથી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની એક કોલેજનું નામ જ્હોન મુઇર કોલેજ રખાયું છે. આ પ્રવાસોના નિચોડમાંથી જ આપણને જ્હોન મુઇરઃ સ્પિરિચ્યુઅલ રાઇટિંગ્સ’, ‘સ્ટડીઝ ઈન સિયેરા’, ‘ધ માઉન્ટેઇન્સ ઓફ કેલિફોર્નિયા’, ‘માય ફર્સ્ટ સમર ઈન સિયેરાઅને ધ યોસેમાઈટજેવા સુંદર પુસ્તકો મળ્યા છે.


યોસેમાઈટ વેલી પર લખાયેલું પ્રસિદ્ધ પુસ્તક 

આજેય અનેક પુસ્તકો, સંશોધન પેપરો અને જર્નલોમાં આ લખાણોનો ઉપયોગ કરાય છે. અમેરિકનોમાં કુદરત પ્રત્યે પ્રેમ-સંવેદના જગાવવામાં તેમજ હાઇકિંગ, ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવામાં પણ આ લખાણોએ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અત્યારે લાખો અમેરિકનોને કુદરતી સૌંદર્યના જે કંઈ લાભ મળી રહ્યા છે એ પાછળ પણ જ્હોન મુઇરનું જબરદસ્ત પ્રદાન છે. આજે જ્હોન મુઇરને યાદ કરવાનું કારણ ભારતમાં પડી રહેલી પ્રચંડ ગરમી છે. અમેરિકામાં માથાદીઠ વૃક્ષોની સંખ્યા ૭૧૬ છે, જે બીજા વિકસિત દેશો કરતા ઓછી હોવા છતાં પૂરતી છે. સામાન્ય ગણતરી પ્રમાણે, એક ૧૨ ફૂટ ઊંચું અને બે ટન જેટલું વજન ધરાવતું વૃક્ષ એક વર્ષમાં ૧૦૦ કિલો ઓક્સિજન આપે છે, જ્યારે એક સ્વસ્થ વ્યક્તિને વર્ષે ૭૪૦ કિલો જેટલો ઓક્સિજન જોઈએ. એટલે કે, એક વ્યક્તિને સ્વસ્થ જીવન જીવવા સાતથી આઠ વૃક્ષની જરૂર પડે. આ સામે ભારતમાં માથાદીઠ વૃક્ષોની સંખ્યા ૨૮ છે. વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે ભારતમાં કુલ વિસ્તાર પૈકી ૨૩.૮ ટકા વિસ્તારમાં જંગલો છે. જોકે, આ આંકડા ખોટા હોવાનો વિવાદ થયો હતો! આ સિવાય પણ ભારતમાં અનેક પ્રશ્નો છે. જેમ કે, વૃક્ષો શહેરોથી દૂર હોય તો તેનો લોકોને લાભ કેવી રીતે મળે? ટૂંકમાં જ્યાં માનવ વસતી વધારે હોય ત્યાં વૃક્ષોની જરૂર હોય. વળી, શહેરોમાં સતત ધુમાડા ખાઈ રહેલા વૃક્ષોની તંદુરસ્તી એટલે કે, તેમની ઓક્સિજન આપવાની શક્તિ કેટલી?

શહેરોમાં ક્યાંક રસ્તા વચ્ચે રોપવામાં આવતા છોડ અને ઘાસફૂસ એ ગ્રીન કવરનથી એ પણ આપણે યાદ રાખવાની જરૂર છે. લીલોતરીની ઓક્સિજન આપવાની ક્ષમતા વૃક્ષો જેટલી ના હોય. વૃક્ષો શહેરોના કુદરતી એર કન્ડિશનરનું કામ કરે છે. જમીન પર સૂર્યના કિરણોનું પરાવર્તન ગરમી પેદા કરે છે. શહેરોના કાળા ડામરના રસ્તા, સ્થાનિક વાતાવરણને ધ્યાનમાં રાખ્યા વિના ઊભી કરાયેલી મહાકાય બિલ્ડિંગો, તેની કાચની દીવાલો તેમજ શહેરોના હજારો એર કન્ડિશનરોમાંથી વછૂટતો કાર્બન ડાયોક્સાઈડ ગરમીમાં ઘી હોમવાનું કામ કરે છે. આ મુશ્કેલી સામે લડવાનો એક જ ઉપાય છે, વૃક્ષો. વૃક્ષો જેટલા વધારે હોય એટલા સૂર્યના આકરા કિરણો જમીન પર પડતા રોકાય અને આખા શહેરનું તાપમાન નીચું રહે. વૃક્ષોના પાંદડામાં રહેલા પાણીનું બાષ્પીભવન પણ વાતાવરણની ગરમી ઓછી કરે છે. એક પરિપક્વ વૃક્ષ વીસ કલાક સુધી દસ એર કંડિશનર જેટલી ઠંડક આપી શકે છે. પર્યાવરણ સિવાય પણ વૃક્ષોના અનેક સામાજિક ફાયદા (એ વાત ફરી ક્યારેક) છે, જેનો આજે વિશ્વના દરેક વિકસિત દેશે સ્વીકાર કર્યો છે. આખે વૃક્ષોની કેમ જરૂર છે એ વાત જ્હોન મુઇરના જ એક ક્વૉટ સાથે પૂરી કરીએ.

દરેક વ્યક્તિને રોટલીની સાથે કુદરતના સૌંદર્યની પણ જરૂર હોય છે, જ્યાં તે આનંદપ્રમોદ અને પ્રાર્થના કરીને કુદરતની ઊર્જાથી શરીર અને આત્માને શક્તિ પૂરી પાડી શકે.

23 May, 2016

રેડ ટેલિફોન : માર્ક ટ્વેઇનથી દોસ્તોયવસ્કી સુધી...


વિદેશ નીતિની તકલીફ એ છે કે, બે દેશે પરસ્પર સંબંધ સુધારવા, ટકાવી રાખવા કે પછી કમસેકમ એવું બતાવીને આર્થિક હિતો જળવાઈ રહે એ રીતે આગળ વધવા અમુક પગલાં લેવા જરૂરી હોય છે. હમણાં સમાચાર હતા કે, ભારત અને ચીનના લશ્કરી વડા વચ્ચે થોડા સમયમાં રેડ ટેલિફોનશરૂ થઈ જશે! ચીન ભારત ફરતે લશ્કરી તાકાત વધારી રહ્યું છે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાટાળવા રેડ ટેલિફોન મહત્ત્વનો સાબિત થઈ શકે છે! જોકે, રેડ ટેલિફોન એ લાલ રંગનું ટીપિકલ ટેલિફોન ડબલું નથી પણ કટોકટીના સમયમાં બે દેશ એકબીજાનો ઝડપથી સંપર્ક કરી શકે એ માટે શરૂ કરાતી હોટલાઈનછે. આ હોટલાઈનની મદદથી વાતચીતની સાથે કોઈ પણ પ્રકારના ફોર્મેટની ફાઈલો, ઓડિયો અને વીડિયો ક્લિપની આપ-લે થઈ શકે છે. આવી હોટલાઈન બે દેશના મિલિટરી વડા અથવા બે દેશના વડાપ્રધાનો, વિદેશ મંત્રીઓ અને વિદેશ સચિવો વચ્ચે પણ હોઈ શકે છે. આ હોટલાઈનને રેડ ટેલિફોનકહેવાની શરૂઆત કેમ થઈ એ જાણતા પહેલાં હોટલાઈનનું બેકગ્રાઉન્ડ જાણીએ.  

વાત નહીં કરવાહોટલાઈન શરૂ કરાઈ હતી!

સોવિયેત યુનિયને ઓક્ટોબર ૧૯૬૨માં અમેરિકાને પાઠ ભણાવવા ક્યુબા નજીક સમુદ્રમાં પરમાણુ મિસાઈલો તૈનાત કરી હતી. એ પહેલાં વર્ષ ૧૯૪૫માં દુનિયા હીરોશીમા અને નાગાસાકી પરનો પરમાણુ હુમલો જોઈ ચૂકી હતી. અમેરિકા અને સોવિયેત યુનિયનને ખબર હતી કે, પરમાણુ હુમલો કેવી ખાનાખરાબી સર્જી શકે છે! આમ છતાં, સોવિયેત યુનિયને અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. એ વખતે સોવિયેત યુનિયનના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીને ત્રણ હજાર શબ્દોમાં એક ટેલિગ્રામ મોકલ્યો હતો, જેનો અંગ્રેજી અનુવાદ કરાવીને અને તેના પર વિચાર કરીને ખુશ્ચોવને જવાબ આપવામાં અમેરિકાને ૧૨ કલાકનો સમય લાગ્યો હતો. આ ટેલિગ્રામનો અમેરિકા જવાબ મોકલે એ પહેલાં સોવિયેત યુનિયનથી બીજો એક ટેલિગ્રામ આવી ગયો હતો. વળી, જાસૂસીથી બચવા આ પત્રવ્યવહાર એક સુરક્ષિત કુરિયર ચેનલ થકી કરાતો હતો, જેથી એકબીજાને જવાબ આપવામાં બહુ મોડું થતું હતું. સદ્નસીબે આ બધી મથામણ પછી પરમાણુ હુમલો અટકી ગયો હતો.

અમેરિકાની જિમી કાર્ટર લાઈબ્રેરીમાં અમેરિકા-સોવિયેત યુનિયનની હોટલાઈનને
પ્રતીકાત્મક રીતે દર્શાવવા મૂકાયેલો ડાયલ વિનાનો ‘રેડ ટેલિફોન’

આ પરમાણુ યુદ્ધ ટળ્યાના એક જ વર્ષ પછી બંને દેશે બોધપાઠ લીધો અને ૨૦મી જૂન, ૧૯૬૩ના રોજ સ્વિત્ઝર્લેન્ડમાં મેમોરેન્ડ ઓફ અન્ડસ્ટેન્ડિંગ કરીને હોટલાઈન શરૂ કરવા કરાર કર્યા. ત્યાર પછી ૩૦મી ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ અમેરિકા-સોવિયેત યુનિયન વચ્ચે હોટલાઈન શરૂ થઈ. આ હોટલાઈનનું ટેસ્ટિંગ કરવા અમેરિકાએ સૌથી પહેલા ‘‘The quick brown fox jumped over the lazy dog’s back 1234567890.’’ એવો સંદેશ મોકલ્યો હતો. આ વાક્યમાં એબીસીડીના તમામ મૂળાક્ષરો, આંકડા અને એપોસ્ટ્રોફી આવતો હોવાથી તેનો ઉપયોગ કરાયો હતો.

રસપ્રદ વાત એ છે કે, અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાને એકબીજા સાથે સીધી વાત ના કરવી પડે એ માટે હોટલાઈન શરૂ કરાઈ હતી. એટલે કે, હોટલાઈનનો મુખ્ય હેતુ એકબીજા સાથે વાત કરવાનો નહીં પણ ફક્ત લેખિત સંદેશ મોકલવાનો હતો. કોલ્ડ વૉરના દિવસોમાં અમેરિકા અને રશિયા વચ્ચેનો અણગમો અને અવિશ્વાસ ચરમસીમાએ હતો. આ સ્થિતિમાં અમેરિકા-રશિયાના સુરક્ષા નિષ્ણાતોએ વિચાર્યું કે, બંને દેશના વડા કટોકટી વખતે એકબીજા સાથે વાત કરે ત્યારે ગેરસમજ થવાની કે સામેની વ્યક્તિના ટોનનું ખોટું અર્થઘટન કરીને ભૂલભરેલો નિર્ણય લેવાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એ ગેરસમજ વિશ્વને પરમાણુ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે. આવું ના થાય એ માટે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડા એકબીજા સાથે વાત કરે એ પહેલાં લેખિતમાં સંદેશ મોકલે એ જ વધારે હિતાવહ છે. વળી, લેખિત સંદેશા લશ્કરી પુરાવા પણ છે.

અમેરિકા-સોવિયેત યુનિયનની હોટલાઈન શરૂ થવા પાછળ આ વિચારો કારણભૂત હતા.

હોટલાઈનને રેડ ટેલિફોનકેમ કહે છે?

આ હોટલાઈનમાં લાલ રંગના ટેલિફોનનું અસ્તિત્વ જ નથી તો પણ વિશ્વભરમાં તે રેડ ટેલિફોનતરીકે જ ઓળખાય છે. વર્ષ ૧૯૭૦ સુધી તો હોટલાઈનમાં ટેલિફોનિક વાતચીત થઈ શકે એવા મશીનનું પણ અસ્તિત્વ ન હતું. રશિયાએ અમેરિકાને તાત્કાલિક સંદેશ પહોંચાડવા મોસ્કોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથેનું ટર્મિનલ ઊભું કર્યું હતું. આ ટર્મિનલને રશિયનોએ સામ્યવાદના લાલ રંગ સાથે જોડીને રેડ ટેલિફોનનામ આપ્યું હતું. આ કારણસર એ વખતની કેટલીક નવલકથાઓ અને ફિલ્મોમાં પણ હોટલાઈનને રેડ ટેલિફોનતરીકે દર્શાવાઈ હતી.

ડૉ. સ્ટ્રેન્જલવ (૧૯૬૪) ફિલ્મનું એક દૃશ્ય 

વર્ષ ૧૯૫૮માં બ્રિટીશ લેખક પીટર જ્યોર્જે કોલ્ડ વૉર પર આધારિત રેડ એલર્ટનામની થ્રીલર નવલકથા લખી હતી. પીટર જ્યોર્જ દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટીશ રોયલ એરફોર્સ વતી યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા હોવાથી રેડ એલર્ટવાસ્તવિકતાની ઘણી નજીક હતી. જોકે, આ નવલકથામાં પણ હોટલાઈનને ફિલ્મી સ્ટાઈલમાં રેડ ટેલિફોનતરીકે જ દર્શાવાઈ હતી. આ દરમિયાન ન્યુક્લિયર વૉરનો પ્લોટ ધરાવતી વાર્તાની શોધ કરી રહેલા વીસમી સદીના ધુરંધર ફિલ્મસર્જકો પૈકીના એક સ્ટેન્લી કુબ્રિકે રેડ એલર્ટવિશે સાંભળ્યું, જેના પરથી તેમણે વર્ષ ૧૯૬માં ઑલ ટાઈમ ક્લાસિક ગણાતી ડૉ. સ્ટ્રેન્જલવનામની આંતરરાષ્ટ્રીય રાજકારણ પર વ્યંગ કરતી ફિલ્મ બનાવી. આ જ નવલકથાની ઉતરતી નકલ કરીને અમેરિકન લેખક યુજિન બુર્ડિકે ફેઇલ સેફનામની નવલકથા લખી હતી, જેના પરથી એ જ વર્ષે ફેઇલ સેફનામની ફિલ્મ બની હતી. આ બંને ફિલ્મમાં હોટલાઈનને ટીપિકલ વન ટચ રેડ ટેલિફોનતરીકે દર્શાવાઈ હતી. આ સિવાય પણ કેટલીક નવલકથાઓ, ફિલ્મો, ટીવી સિરીઝ અને વીડિયો ગેમમાં અમેરિકા-રશિયાની હોટલાઈનને બંને દેશના વડા રેડ ટેલિફોનપર વાત કરતા હોય એવી રીતે રજૂ કરાઈ.

આમ, પોપ કલ્ચરના કારણે આજેય લોકો હોટલાઈનને રેડ ટેલિફોનજ સમજે છે.

અમેરિકા-સોવિયેત હોટલાઈન : એ વખતની અને અત્યારની

સિત્તેરના દાયકામાં અમેરિકા અને રશિયાના લશ્કરોમાં પણ આજના જેવા હાઇટેક કમ્પ્યુટરોનો વ્યાપક ઉપયોગ નહોતો એટલે બંને દેશ ટેલિપ્રિન્ટર પર સંદેશની આપ-લે કરતા. કોલ્ડ વૉર વખતે અમેરિકા અંગ્રેજીમાં અને રશિયા રશિયનમાં જ માહિતી મોકલતું હતું. આ કારણસર બંને દેશે વિવિધ સંદેશનો પોતપોતાની ભાષામાં અનુવાદ કરાવવા ગુપ્ત તંત્ર પણ ઊભું કરવું પડ્યું હતું કારણ કે, એ સંવાદો લિક થઈ જવાનું જોખમ રહેતું. જોકે, વર્ષ ૧૯૮૬માં અમેરિકા-રશિયાએ ટેલિપ્રિન્ટર કાઢીને ફેક્સ મશીનથી હોટલાઈન અપડેટ કરી અને વર્ષ ૧૯૭૧માં તો આ હોટલાઈન કોમ્યુનિકેશન ઉપગ્રહોથી પણ સજ્જ થઈ ગઈ.

જોકે, આજના અમેરિકા-રશિયાની હોટલાઈન ખાસ્સી બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૦૮થી બંને દેશ વચ્ચે ઉપગ્રહો સાથે જોડાયેલી હાઈટેક કમ્પ્યુટર સોફ્ટવેર સિક્યોરિટી ધરાવતી હોટલાઈન છે. આ હોટલાઈન પર અમેરિકન અને રશિયન પ્રમુખ એકબીજાને કોઈ પણ સમયે તાત્કાલિક સંદેશ પહોંચાડી શકે છે, જેમાં ટેક્સ્ટ મેસેજની જેમ ઓડિયો, વીડિયો અને લાઇવ મેપ વગેરેનો સમાવેશ થઈ જાય છે. અમેરિકા કે રશિયાના પ્રમુખ વિશ્વમાં ક્યાંય પણ હોય એ સંદેશ તેમને પહોંચી જાય છે. અમેરિકાએ રશિયાના સંદેશ ઝીલવાનો ટેકનિકલ વિભાગ પેન્ટાગોનના નેશનલ મિલિટરી કમાન્ડ સેન્ટરમાં ઊભો કર્યો છે. અહીં આવતા સંદેશ હાઇટેકિ સિક્યોરિટીથી સજ્જ નેટવર્કની મદદથી ઓટોમેટિકલી વ્હાઈટ હાઉસ પહોંચે છે એટલે માહિતી લિક થવાની શક્યતા નહીંવત છે.

આ હોટલાઈનનું દર કલાકે ટેસ્ટિંગ થાય છે. અમેરિકા દર એકી કલાકે (એક, ત્રણ અને પાંચ વાગ્યે એમ) અને રશિયા દર બેકી કલાકે હોટલાઈનનું ટેસ્ટિંગ કરે છે. જોકે, આ હોટલાઈનમાં રુટિન કોમ્યુનિકેશન નહીં થઈ શકતું હોવાથી અમેરિકનો ટેસ્ટિંગ કરવા રશિયનોને માર્ક ટ્વેઇન, વિલિયમ શેક્સપિયર જેવા લેખકોના લખાણો, એન્સાયક્લોપીડિયા કે રેસિપી મોકલે છે, તો રશિયનો અમેરિકનોને ફ્યોદોર દોસ્તોવયસ્કી અને એન્ટન ચેખોવના લખાણો મોકલતા રહે છે.

*** 

ભારત કયા દેશો સાથે હોટલાઈન ધરાવે છે?

ભારત અને પાકિસ્તાને પરમાણુ યુદ્ધ અટકાવવાના હેતુથી ૨૦મી જૂન, ૨૦૦૪ના રોજ અમેરિકાની મદદથી પોતપોતાના વિદેશ સચિવો વચ્ચે હોટલાઈન શરૂ કરી છે. ઓગસ્ટ ૨૦૧૫માં ભારત સરકારે ભારત-ચીન તેમજ ભારત-અમેરિકા વચ્ચે હોટલાઈન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભારત અને અમેરિકાની હોટલાઈન ભારતના વડાપ્રધાન અને અમેરિકન પ્રમુખ વચ્ચે છે, જે થોડા સમય પહેલાં ચાલુ થઈ છે. જોકે, ભારત અને ચીનની હોટલાઈન બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે છે, જે એક્ટિવ કરવાનું કામ હજુ ચાલી રહ્યું છે.

બીજા દેશોની વાત કરીએ તો, અમેરિકા ચીન સાથે પણ હોટલાઈન ધરાવે છે. આ ઉપરાંત રશિયાની પણ ચીન, ફ્રાંસ અને યુ.કે  જેવા દેશો સાથે હોટલાઈન છે. ચીન-જાપાન અને ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે પણ હોટલાઈન છે.

અમેરિકા-બ્રિટન વચ્ચે સૌથી પહેલી હોટલાઈન

અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે હોટલાઈન શરૂ થયાના બે દાયકા પહેલાં દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે  અમેરિકા અને બ્રિટન વચ્ચે હોટલાઈન શરૂ કરાઈ હતી. એ દિવસોમાં અમેરિકા-બ્રિટને હોટલાઈનનો સતત ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી અમેરિકા અને સોવિયેત યુનિયને શરૂ કરેલી હોટલાઈન સૌથી વધારે ચર્ચામાં રહી. ૨૨મી નવેમ્બર૧૯૬૩ના રોજ અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હત્યા કરાઈ ત્યારે આ હોટલાઈનનો પહેલીવાર ઉપયોગ કરાયો હતોજ્યારે રશિયાએ પાંચમી જૂન૧૯૬૭ના રોજ ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે થયેલા યુદ્ધ વખતે હોટલાઈનનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. રશિયાએ હોટલાઈન પર અમેરિકાને પૂછ્યું હતું કેઈજિપ્ત પરના હુમલામાં તમે ઈઝરાયેલને મદદ કરવાના છોઆ દરમિયાન બંને દેશે પોતપોતાની લશ્કરી ગતિવિધિની જાણકારી આપવા ૨૦ સંદેશની આપ-લે કરી હતી.

એ પછી વર્ષ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને રશિયન પ્રમુખનો સંપર્ક કરવા હોટલાઈનનો ઉપયોગ કર્યો હતો. વર્ષ ૧૯૭૯માં અમેરિકન પ્રમુખ જિમી કાર્ટરે અફઘાનિસ્તાન પર રશિયન લશ્કરના હુમલા અટકાવવા રશિયન પ્રમુખનો હોટલાઈન પર સંપર્ક કર્યો હતો. એ પછી અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગને અમેરિકન પત્રકારની જાસૂસીના કેસમાં ધરપકડથી માંડીને રશિયાની બીજા દેશોમાં દખલગીરી અટકાવવા અનેકવાર હોટલાઈનનો ઉપયોગ કર્યો હતો.

16 May, 2016

નશે મેં ‘ઉડતા પંજાબ’


મકડી, મકબૂલ (આસિસ્ટન્ટ ડિરેક્ટર), ધ બ્લુ અમ્બ્રેલા, ઓમકારા (આસિસ્ટન્ટ ડિરેક્ટર, રાઈટર), કમીને (રાઈટર), ઈશ્કિયા, દેઢ ઈશ્કિયા (ડિરેક્ટર) જેવી ઓફ બીટ ફિલ્મો પછી ૧૭મી જૂન, ૨૦૧૬ના રોજ અભિષેક ચૌબેની ડિરેક્ટર તરીકે ઉડતા પંજાબઆવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જ અંગ્રેજી ભાષામાં અને પંજાબી ઉચ્ચારોમાં ચેતવણી આપતો એક સંદેશ અપાયો છે : ‘‘જો પંજાબના યુવાનો આવી જ રીતે ડ્રગ્સનો નશો કરતા રહેશે તો પંજાબ થોડા સમયમાં મેક્સિકો બની જશે.’’ એક સમયે પંજાબ શબ્દ બોલતા જ હરિયાળી ક્રાંતિ, સરસવના પીળા ખેતરો, પંજાબી ભોજન અને લસ્સી યાદ આવતી હતી, જ્યારે આજનું પંજાબ હરિયાળી ક્રાંતિની આડઅસરમાંથી પેદા થયેલા કેન્સરના દર્દીઓ અને ડ્રગ્સના દુષણનો ગઢ બની ગયું છે. હાલ ભારતના બીજા રાજ્યોમાં, પશ્ચિમી દેશોમાં કે સિંગાપોર-મલેશિયા જેવા એશિયાઇ દેશોમાં હેરોઇન વાયા પંજાબ પહોંચે છે. જોકે, પંજાબ ડ્રગ્સની ચુંગાલમાં રાતોરાત નથી ફસાયું પણ છેલ્લાં ૩૬ વર્ષમાં થયેલી કેટલીક રાજકીય અને સામાજિક ઘટનાઓની ધીમે ધીમે થયેલી ભયાનક અસર એ માટે જવાબદાર છે.

પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી થવાનું સૌથી મોટું કારણ છે વર્ષ ૧૯૮૦માં ઈરાન-ઈરાક વચ્ચે થયેલું યુદ્ધ. આ યુદ્ધ ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૮૦થી ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૮ સુધી એટલે કે સાત વર્ષ, ચાર અઠવાડિયા અને એક દિવસ ચાલ્યું હતું. આ યુદ્ધમાં બંને પક્ષે જોરદાર ખુવારી થઈ હતી. એ પછી ઈરાન-ઈરાકે બાલ્કન રૂટ ઘણાં લાંબા સમય સુધી બંધ કરી દીધો હતો. આ રસ્તો બાલ્કન ઉપખંડમાં આવેલો છે. દક્ષિણ પૂર્વીય યુરોપમાં આવેલા બાલ્કન ઉપખંડમાં અલ્બેનિયા, બલ્ગેરિયા, બોસ્નિયા, મોન્ટેનગ્રો, મેસેડોનિયા અને કોસોવો જેવા આખેઆખા દેશો આવી જાય છે. આ ઉપરાંત યુરોપના ગ્રીસ, ઈટાલી, તુર્કી, સર્બિયા, ક્રોએશિયા, સ્લોવેનિયા અને રોમાનિયા જેવા દેશોના અમુક હિસ્સો પણ બાલ્કન ઉપખંડનો એક ભાગ છે. હાલ આતંકવાદથી પીડિત ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હજારો શરણાર્થીઓ યુરોપમાં બાલ્કન રૂટ થકી જ યુરોપિયન દેશોમાં પ્રવેશે છે. એક સમયે પશ્ચિમી દેશોમાં ડ્રગ્સ પહોંચાડવા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના ડ્રગ્સ માફિયા બાલ્કન રૂટને સૌથી ઉત્તમ અને સુરક્ષિત ગણતા હતા. જોકે, હવે પશ્ચિમી દેશોમાં વાયા પંજાબ હેરોઇન નામનું ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે.



ભારત-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટે પંજાબના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને આ ધંધામાં જોતરી દીધા છે. ટૂંકા રસ્તે લખલૂટ રૂપિયા કમાવવાની લાલચમાં પંજાબના અનેક યુવાનો પોલીસ અને રાજકારણીઓ હેન્ડલર બની ગયા છે. હવે અહીં ડ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે. એટલે જ પંજાબના યુવાનોમાં ડ્રગ્સની નશાખોરી સતત વધી રહી છે. એક અંદાજ પ્રમાણે, પંજાબમાં ૧૬થી ૩૫ વર્ષની વયના ૭૦ ટકા યુવાનો ડ્રગ્સના બંધાણી છે અથવા ડ્રગ્સ લઈ ચૂક્યા છે. પંજાબમાં આર્થિક અસમાનતાના કારણે મધ્યમવર્ગીય યુવાનોમાં અસંતોષનું પ્રમાણ પણ વધારે છે. આ યુવાનોને પણ હરિયાળી ક્રાંતિ વખતે સમૃદ્ધ થયેલા ખેડૂત પુત્રોની જેમ ધૂમ પૈસા કમાઈને ‘સફળ’ થવું છે.  

આ સ્થિતિમાં ભારતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ હેઠળ નોંધાયેલા અડધા ગુના પંજાબના છે. મીડિયામાં રોજેરોજ પંજાબ, જમ્મુ-કાશ્મીર કે રાજસ્થાનની સરહદો નજીક કરોડોનું હેરોઈન ઝડપાયુંજેવા સમાચારો ચમકે છે. દેશમાં પાંચમાં ભાગનું હેરોઇન એકલા પંજાબમાંથી પકડાય છે અને બાકીના ચાર ભાગના છેડા પંજાબ સુધી જાય છે. ડ્રગ્સની સૌથી વધારે ઘૂસણખોરી પંજાબની પાકિસ્તાન સાથેની સરહદેથી થાય છે.  આ સરહદો પર આવેલા પંજાબના અનેક અંતરિયાળ ગામો ડ્રગ્સની હેરાફેરીના ગઢ છે. પાકિસ્તાનના ડ્રગ હેન્ડલરોએ ભારતમાં સુરક્ષિત રીતે ડ્રગ્સ પહોંચાડવાની અનેક પદ્ધતિઓ વિકસાવી છે. પાકિસ્તાન તરફથી સીલબંધ પેક કવરમાં ડ્રગ્સના પેકેટ ભારતની સરહદમાં ફેંકવામાં આવે છે. આ ઉપરાંત સરહદોની ફેન્સિંગથી થોડે દૂર અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં રબર ટ્યૂબ ફિટ કરીને પણ ડ્રગ્સની હેરાફેરી થાય છે. આ ટનલોમાં લાંબી સૂતળી જેવી દોરીઓ હોય છે, જેની મદદથી ભારતીય હેન્ડલરો ડ્રગ્સના પેકેટ ખેંચી લે છે.

એકવાર પંજાબમાં હેરોઈન ઘૂસી જાય પછી તે મુંબઈ અને કોલકાતા જેવા મોટા બંદરો સુધી પહોંચે છે. અહીંથી ડ્રગ્સના શિપમેન્ટ સીધા પશ્ચિમી દેશોમાં અથવા તો પાકિસ્તાનના અન્ય બંદરોથી પશ્ચિમી દેશોમાં પહોંચાડવામાં આવે છે. સિંગાપોર અને મલેશિયા જેવા દેશોમાં જતું હેરોઇન પણ પહેલાં પંજાબ પહોંચે છે. એ પછી તેને બેંગલુરુથી જતી ફ્લાઇટોમાં ડિલિવર કરાય છે. પંજાબમાં આવતું હેરોઇન મોટા ભાગે અફઘાનિસ્તાનનું હોય છે, જેનો મટા ભાગનો જથ્થો ભારત-પાકિસ્તાન થઈ અમેરિકા પહોંચે છે. છેલ્લાં ઘણાં સમયથી અમેરિકામાં હેરોઇનનો નશો કરવાનું દુષણ વધ્યું છે. આ પહેલાં અમેરિકામાં મેક્સિકન હેરોઇન અને બીજા ડ્રગ્સનો ઉપયોગ વધારે થતો હતો, પરંતુ અમેરિકન સરકારે  મેક્સિકો સરહદે ધોંસ બોલાવ્યા પછી ડ્રગ્સ માફિયાઓએ અફઘાનિસ્તાનના હેરોઇનનો સહારો લીધો છે.

પંજાબમાં પણ ડ્રગ્સનું સ્મગલિંગ નેટવર્ક ઉઘાડું પડી જ ગયું છે પણ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે એ તૂટવાના બદલે વધારે ફૂલ્યુંફાલ્યું છે. પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક ઊભું થઈ શક્યું એ માટે ભ્રષ્ટ પોલીસ અને રાજકારણીઓની સાથે લશ્કરનો ભ્રષ્ટાચાર પણ વત્તેઓછે અંશે જવાબદાર છે. કેટલાક લાલચુ જવાનો રાષ્ટ્રીય સુરક્ષાની પણ પરવા કર્યા વિના ટૂંકા રસ્તે બિંદાસ પૈસા કમાવા ડ્રગ્સ માફિયાઓનો હાથો બની જાય છે. પઠાણકોટ એરબેઝ હુમલા પહેલાં આતંકવાદીઓએ જે આઈપીએસનું અપહરણ કર્યું હતું, એ સલવિન્દર સિંઘની ડ્રગ્સ માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાની શંકા સેવાઈ હતી. પંજાબમાં સુપરિન્ટેન્ડન્ટ સ્તરના અનેક પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના નામ ડ્રગ્સની હેરાફેરીમાં ચમકી ચૂક્યા છે. એક સમયે પંજાબના જાણીતા રેસલર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જગદીશસિંઘ ભોલાને પણ ડ્રગ્સની હેરાફેરીમાં જ સસ્પેન્ડ કરાયા હતા. જાન્યુઆરી ૨૦૧૪માં ભોલાએ કબૂલ્યું હતું કે, પંજાબમાં સરકારી મશીનરીનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થાય છે. હું તો પ્યાદું છું. આ કામમાં પંજાબના મહેસૂલ મંત્રી બિક્રમસિંઘ મજિઠિયા પણ સામેલ છે...

જોકે, ભોલાની કબૂલાતના બે વર્ષ પછીયે મજિઠિયાનો વાળ પણ વાંકો નથી થયો. ઊલટાનું થોડા દિવસ પહેલાં તેમણે ડ્રગ્સ કેસને લઈને બીજા નેતાઓ સાથે ટ્વિટર વૉર છેડ્યું હતું. જગદીશસિંઘ ભોલાના નિવેદનોના આધારે પંજાબ પોલીસે શિરોમણી અકાલી દલના નેતા મનીન્દર સિંઘ ઔલાખની પણ પૂછપરછ કરી હતી. ઔલાખે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે, પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી કરવા રાજ્ય સરકારના વાહનોનો ઉપયોગ કરાય છે... ભોલાના જ નિવેદનોના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઔલાખ અને પંજાબના પ્રવાસન મંત્રી સરવણસિંઘ ફિલ્લુરના પુત્ર દમનવીર સિંઘની પણ પૂછપરછ કરી હતી. આ બંને પર રૂ. પાંચ હજાર કરોડના ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસમાં રાજકારણીઓની સાથે કેટલાક બિઝનેસમેનના નામ પણ ખૂલ્યા હતા, જેમાં મંથર ગતિએ તપાસનું નાટક ચાલી રહ્યું છે. પંજાબના ડ્રગ્સ નેટવર્ક વિશે પતિયાલાના સિનિયર સુપરિન્ટેડન્ટ હરદયાલ સિંઘે જાહેરમાં કહ્યું હતું કે, પંજાબમાં ડ્રગ્સનું મજબૂત નેટવર્ક છે, જે ચૂંટણીઓમાં રાજકારણીઓને આર્થિક મદદ કરે છે...

પંજાબના યુવાનો ડ્રગ્સના નશાખોર બન્યા એ પાછળ બીજો પણ એક સામાજિક ઘટનાક્રમ જવાબદાર છે. અહીં હરિયાળી ક્રાંતિ વખતે જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરીને કમાયેલા અનેક સદ્ધર ખેડૂત પરિવારના સંતાનો અમેરિકા, કેનેડા અને યુરોપના બીજા દેશોમાં સ્થાયી થયા હતા. આવા અનેક યુવાનો ત્યાંથી ડ્રગ્સનું દુષણ લઈને ભારત પાછા ફર્યા છે. આ દેશોમાં સ્થાયી થયેલા પંજાબી યુવાનોમાં પણ ડ્રગ્સનો નશો કરવાનું દુષણ સખત વધ્યું છે. બીજી તરફ, હરિયાળી ક્રાંતિ વખતે કુદરતી રીતે સૂકા વિસ્તારોમાં મોટા ખેડૂતોએ ડાંગરની બેફામ ખેતી કરી હતી, જેને પાણીની વધારે જરૂર પડતી. વર્ષો સુધી ડાંગર જેવો વધુ પાણી પીતો પાક લેવાના કારણે જમીનમાં ક્ષારનું સ્તર ઘણું વધી ગયું અને ભૂગર્ભ જળનું સ્તર ૮૦ ટકા જેટલું નીચે જતું રહ્યું. આ કારણસર અનેક સ્થળોની ખેતીલાયક જમીન નકામી થઈ ગઈ. આ જમીનો ઉપયોગી નહીં રહેતા મોટા ખેડૂતો બેકાર બની ગયા. જોકે, તેમાંના અનેક ખેડૂતો આર્થિક રીતે સદ્ધર છે અથવા ખુવાર થઈ ગયા છે. આ ખેડૂતો પણ અત્યારે ડ્રગ્સના બંધાણી છે. એક અંદાજ પ્રમાણે, પંજાબના કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી ૫૦ ટકા વસતી ડ્રગ્સની બંધાણી છે.

છેલ્લાં ઘણાં સમયથી મીડિયામાં ચમકી રહેલા આ પ્રકારના અહેવાલો સાબિત કરે છે કે, પોલીસ અને તમામ રાજકારણીઓએ પંજાબમાં ડ્રગ્સનું મજબૂત નેટવર્ક ડિઝાઈન કર્યું છે. આશા રાખીએ કે, ‘ઉડતા પંજાબની રિલીઝ પછી આ મુદ્દાની દેશભરમાં ગંભીરતાથી ચર્ચા થાય!

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

10 May, 2016

મહારાષ્ટ્રમાં ‘માનવીની ભવાઈ’


દેશના વિવિધ રાજ્યોમાં વર્ષ ૧૯૬૬થી ૨૦૦૦ સુધી પડેલા દસ ભયાનક દુકાળમાં મહારાષ્ટ્રનો સમાવેશ થતો નથી. મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૭૦-૭૩ દરમિયાન પડેલા કારમા દુકાળ વખતે પાણીની નહીં પણ ખોરાક અને ઘાસચારાની મુશ્કેલી વધારે હતી. ઊલટાનું એ દુકાળની તીવ્રતાને ઓછી કરવા મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલાં દુકાળમાં કરાયેલી ઉત્તમ કામગીરીગણાય છે. એ પછી વર્ષ ૨૦૧૩થી મહારાષ્ટ્રમાં, ખાસ કરીને ઔરંગાબાદના આઠ જિલ્લામાં, આગલા વર્ષ કરતા વધારે ભયાનક દુકાળ પડવાની શરૂઆત થઈ. એવું નથી કે, મહારાષ્ટ્રમાં પાણીના સ્રોતો કે સિંચાઈનો અભાવ છે! મહારાષ્ટ્ર જ નહીં, દેશના અનેક રાજ્યોમાં ઓછો વરસાદ પડે છે, પરંતુ ત્યાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ મહારાષ્ટ્ર જેટલું ઊંચું નથી. હકીકત એ છે કે, મહારાષ્ટ્રની બદતર હાલત માટે ખાંડ ઉદ્યોગ, તેમાં હિતો ધરાવતા રાજકારણીઓ તેમજ પાણીના સ્રોતોનું ક્રિમિનલ મિસ-મેનેજમેન્ટ જવાબદાર છે. મહારાષ્ટ્રનો દુકાળ કુદરતી ઓછો અને માનવસર્જિત વધારે છે.

આ વાત જરા વિગતે સમજીએ. મહારાષ્ટ્ર રાજ્ય અમરાવતી, ઔરંગાબાદ, કોંકણ, નાગપુર, નાસિક અને પૂણે એમ છ ડિવિઝનમાં વહેંચાયેલું છે. આ તમામ ડિવિઝનમાં ગયા વર્ષે જરૂરિયાત કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઔરંગાબાદમાં પાણીની બારે માસ તંગી હોય છે. ગયા વર્ષે પણ ઔરંગાબાદમાં જરૂરિયાતના ૪૦ ટકા જેટલો વરસાદ પડ્યો હતો. અહીં છેલ્લાં ત્રણેક વર્ષથી આગલા વર્ષ કરતા આકરો દુકાળ પડી રહ્યો છે. જોકે, દેશભરના વિવિધ વિસ્તારોના સરેરાશ વરસાદ પર નજર કરતા એક વાત સાબિત થાય છે કે, આ દુકાળ માટે ફક્ત ઓછો વરસાદ જવાબદાર નથી. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં સરેરાશ ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો, જે દેશના સરેરાશ વરસાદ ૪૩ ઈંચથી વધારે છે. કોંકણમાં વાર્ષિક ૧૧૮ ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જોકે, ઔરંગાબાદમાં ૩૫ ઈંચ અને બીજા એક દુકાળગ્રસ્ત ડિવિઝન વિદર્ભમાં ૪૧ ઈંચ વરસાદ થયો હતો, જે રાષ્ટ્રીય સરેરાશથી ફક્ત બે ઈંચ ઓછો છે. રસપ્રદ વાત એ છે કે, મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વાર્ષિક સરેરાશ વરસાદ માંડ ૧૫-૧૬ ઈંચ હોય છે. આમ છતાં, રાજસ્થાનમાં મહારાષ્ટ્ર જેટલી ખરાબ સ્થિતિ સર્જાતી નથી.



મહારાષ્ટ્રના દુકાળ માટે પાણીની તંગી નહીં પણ ખાંડ માફિયાનામની પ્રજાતિએ ઊભી કરેલી પાણીની માનવસર્જિત તંગીજવાબદાર છે. આ પ્રજાતિ જીવતા જાગતા ખેડૂતોને ખાઈ જાય છે પણ એકેય રાજકીય પક્ષને તેનો ખાત્મો કરવામાં રસ નથી કારણ કે, ખુદ રાજકારણીઓ જ એ પ્રજાતિના પ્રમોટરો છે. હાલ મહારાષ્ટ્રમાં ૨૦૦ જેટલી ખાંડ સહકારી મંડળીઓ અને આશરે ૮૦ પ્રાઈવેટ ખાંડ મિલો છે. આ એંશીમાંથી અનેક પ્રાઈવેટ મિલોના પ્રમોટર તરીકે રાજ્ય સરકારના ભંડોળમાંથી ઊભી થયેલી સહકારી મંડળીઓ છે. મહારાષ્ટ્રના રાષ્ટ્રીયથી લઈને સ્થાનિક કક્ષાના અનેક રાજકારણીઓ ખાંડ ઉદ્યોગમાં હિતો ધરાવે છે. તેઓ પ્રજાના પૈસે ચાલતી સહકારી મંડળીઓને નબળી પાડીને પ્રાઈવેટ ખાંડ મિલમાં ફેરવી દેવા આતુર હોય છે. આ લોકોને પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ સૂંડલા મોંઢે પાણી પીતી શેરડીનો પાક લેવામાં જ રસ છે.

દેશમાં ઉત્તરપ્રદેશ પછી શેરડીનો સૌથી વધારે પાક મહારાષ્ટ્રમાં લેવાય છે. ઉત્તરપ્રદેશમાં તો ગંગા, યમુના અને સિંધ જેવી ૪૦થી પણ વધારે નદીઓનું નેટવર્ક છે, જ્યારે મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં શેરડીનો જંગી પાક લેવાય છે ત્યાં પાણીની હંમેશાં તંગી હોય છે. એવું કહેવાય છે કે, વરસાદ આકાશમાંથી પડે છે, પણ દુકાળનું સર્જનજમીન પર થાય છે. અત્યારના મહારાષ્ટ્રને (દેશના અનેક ભાગોને પણ) આ વાત સૌથી વધારે લાગુ પડે છે. મહારાષ્ટ્ર સરકારના કૃષિના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રની ફક્ત ચાર ટકા જમીન પર શેરડીની ખેતી થાય છે. મહારાષ્ટ્રના રાજકારણીઓ આવી છેતરામણી દલીલો કરીને સામેવાળાને ચિત્ત કરી દે છે. આ દલીલો કરતી વખતે તેઓ એવું નથી કહેતા કે, ચાર ટકા જમીન પર ઊગાડાતી શેરડી માટે સિંચાઈ અને કૂવાનું ૭૧ ટકાથી પણ વધારે પાણી વપરાઈ જાય છે. આમ, પાણીનો પ્રશ્ન ખાંડ ઉદ્યોગમાંથી ઉદ્ભવેલું કોલેટરેલ ડેમેજ છે. એવું નથી કે, મહારાષ્ટ્રના રાજકારણીઓ, કૃષિ નિષ્ણાતો, સામાજિક નેતાઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓ આ વાતથી બેખબર છે.

આપણી કમનસીબી એ છે કે, આ પ્રકારના દુષણ પર પ્રજાકીય આંદોલનથી જ કાબૂ મેળવી શકાય કારણ કે, ખાંડ ઉદ્યોગમાં રાજકારણીઓ જેવી રીતે હિતો ધરાવે છે એવી જ રીતે, બીજા લાખો લોકો પણ ખાંડ ઉદ્યોગ ફૂલેફાલે એમાં રસ ધરાવે છે. આ લોકોની સંખ્યા ઓછી છે પણ રાજકારણ અને અર્થતંત્રમાં તેમનું વર્ચસ્વ છે. રાજ્યસભામાં ચોથી માર્ચ, ૨૦૧૬ના રોજ રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૫માં મહારાષ્ટ્રમાં ૩,૨૨૮ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાંની મોટા ભાગની આત્મહત્યા કૃષિ વિષયક પ્રશ્નોના કારણે થઈ છે. ખરેખર આ આત્મહત્યા નથી પણ પેલા રાજકીય-આર્થિક રીતે સંપન્ન વર્ગે જ તેમની આડકતરી રીતે હત્યાકરી છે.

મહારાષ્ટ્રના લગભગ તમામ રાજકારણીઓ રાજકીય વજન વધારવા ખાંડ મિલોની આવકનો ઉપયોગ કરે છે. આપણે થોડા દિવસો પહેલાં જ જોયું કે, ઔરંગાબાદના લાતુર સહિતના જિલ્લાઓમાં પાણીની ટેન્કરો અને ટ્રેનોથી પીવાનું પાણી પહોંચાડવું પડ્યું હતું. આ સ્થિતિ હોવા છતાં અહીં છેલ્લાં ત્રણ વર્ષમાં ખાંડની વધુ ૨૦ મિલો સ્થપાઈ છે અને હવે આ આંકડો ૭૦એ પહોંચ્યો છે. આ મિલો જમીનમાંથી પાણી ખેંચીને પર્યાવરણની પણ ઘોર ખોદી રહી છે. પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે, જો અહીં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા અત્યારથી પ્રયાસ નહીં કરાય તો વીસેક વર્ષમાં જ ઔરંગાબાદ મહારાષ્ટ્રનો પહેલો રણપ્રદેશ બની જશે! દેશમાં સૌથી વધારે ડેમ મહારાષ્ટ્રમાં છે. સામાન્ય રીતે ૧૫ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતા અને ૬૦ મિલિયન ક્યુબિક મીટરથી વધારે પાણીનો સંગ્રહ કરી શકતા ડેમને મોટા ડેમના ખાનામાં મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આવા ૧,૮૦૦થી પણ વધારે ડેમ છે. આ ડેમોનું મોટા ભાગનું પાણી શેરડી એટલે કે ખાંડ ઉદ્યોગ જ પી જાય છે.

હજુ થોડા દિવસ પહેલાં જ લોકસભામાં દુકાળ અંગેના પ્રશ્નનો જવાબ આપતી વખતે કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે કહ્યું હતું કે, ‘‘મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારે ખાંડ ઉદ્યોગ માટે ડેમ બંધાવ્યા હતા, નહીં કે ખેડૂતો માટે.’’ આમ કહીને સિંઘે દુકાળની સાચી હકીકતો બહાર લાવવા સંસદમાં ચર્ચાની માગ કરી હતી. જોકે, રાજકારણીઓની વાતો આક્ષેપબાજીથી આગળ વધતી નથી. વર્ષ ૧૯૬૦થી મહારાષ્ટ્રની તમામ સરકારોએ પાણીના મુદ્દાની ઘોર અવગણના કરી છે. વર્ષ ૧૯૯૫-૯૯ દરમિયાન ભાજપ-શિવસેનાની સરકારે પણ પાણીનો સંગ્રહ, ટપક સિંચાઈ અને જમીનની નીચેના પાણીનું સ્તર ઊંચું લાવવામાં સંપૂર્ણ બેદરકારી દાખવી હતી.

પણ એવું કેમ? કારણ કે, એક પછી એક સરકારો બદલાઈ પણ પાણીનું ક્રિમિનલ મિસ-મેનેજમેન્ટ કરતા વ્હાઈટ કોલર ખાંડ માફિયાઓની સમાંતર સરકારો ક્યારેય બદલાતી નથી! આ એ જ લોકો છે, જે કોઈ પણ સરકાર સાથે ઘરોબો કેળવીને અને ભ્રષ્ટાચારી નેતાઓએ ઊભી કરેલી સિસ્ટમને વધારે ભ્રષ્ટ કરીને આગળ વધતા રહે છે. જો ખાંડ કે ડેરી ઉદ્યોગ માટે ડેમના પાણી ખૂટી જાય તો રાજકારણીઓ સિંચાઈનો પ્રસ્તાવ મંજૂર કરાવી લે છે. મહારાષ્ટ્રમાં જે રાજકારણી ખાંડ ઉદ્યોગ માટે પાણી લાવી શકે એ મજબૂતગણાય છે. રાજકારણીઓ અને ખાંડ માફિયાઓની મિલિભગતને કારણે આજેય મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેતીલાયક જમીન ફાજલ પડી છે.

આખું વિશ્વ ક્લાયમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને ખેતીની જમીન અને પાણીનું માઇક્રો મેનેજમેન્ટ કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં વૉટર ગવર્નન્સ હજુ વિચારાધીન મુદ્દો છે. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં શેરડીના ખેતરોમાં ટપક સિંચાઈ ફરજિયાત કરવાની ચણભણ થઈ હતી, જેનો હજુ સુધી અમલ થઈ શક્યો નથી. આજેય અહીંના શેરડીના ખેતરોને પાણીથી છલોછલ ભરી દેવાની જૂનીપુરાણી પદ્ધતિ અપનાવાય છે, જેમાં પાણીનો જબરદસ્ત વેડફાટ થાય છે. હાલ મહારાષ્ટ્ર સરકાર પાણીના વિવિધ સ્રોતોમાંથી- ૭૦ ટકા પાણી કૃષિને, ૧૫ ટકા પાણી ઉદ્યોગોને તેમજ દસેક ટકા પાણી નાગરિકોને ફાળવે છે. હવે યોગાનુયોગ જુઓ. મહારાષ્ટ્રમાં પાણીનો વેડફાટ કૃષિમાં ૭૫ ટકા, ઉદ્યોગોમાં ૧૫ ટકા અને સ્થાનિકો દ્વારા દસેક ટકા થાય છે. આપણે બધાએ એ વાત યાદ રાખવાની જરૂર છે કે, દુકાળ એ સુનામી કે ભૂકંપ નથી. સુનામી કે ભૂકંપ અચાનક ત્રાટકે છે, જ્યારે દુકાળ સજ્જ થવાનો પૂરેપૂરો સમય આપે છે.

આજે મહારાષ્ટ્રને કદાચ એક પન્નાલાલની જરૂર છે, જે માનવસર્જિત દુકાળ ભવિષ્યમાં કેવી ભવાઈસર્જી શકે છે એનું તાદૃશ વર્ણન કરીને મહારાષ્ટ્રના લોકોનો અંતરાત્મા ઢંઢોળી શકે! 

નોંધઃ ગૂગલ પરથી લીધેલી તસવીર પ્રતીકાત્મક છે.